અમેરિકન સેનાએ કહ્યું કે ઈરાનનાં ચાર ડ્રોન તોડી પાડ્યાં, રડાર ઠેકાણાં પર હુમલા કર્યા - ન્યૂઝ અપડેટ

અમેરિકન સેનાએ કહ્યું કે તેણે ઈરાનનાં ચાર ડ્રોનને તોડી પાડ્યાં છે

ઇમેજ સ્રોત, U.S. Navy via Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકન સેનાએ કહ્યું કે તેણે ઈરાનનાં ચાર ડ્રોનને તોડી પાડ્યાં છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

અમેરિકન સેનાએ કહ્યું કે તેણે ઈરાનનાં ચાર ડ્રોનને તોડી પાડ્યાં છે, જે હોર્મુઝ સામુદ્રધુની તરફ મોકલાયાં હતાં. યુએસ સૅન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ આ માહિતી શનિવારે સવારે આપી હતી.

સેન્ટકૉમે ઍક્સ પર લખ્યું, "થોડા સમય પહેલાં અમેરિકન દળોએ ઈરાનનાં ચાર રન-વે ઍટેક ડ્રોન તોડી પાડ્યાં છે, જે હોર્મુઝ સામુદ્રધુની તરફ મોકલાયાં હતાં. આ ડ્રોન વિસ્તારમાં દરિયાઈ અવરજવર માટે જોખમી હતાં."

વધુમાં જણાવાયું કે "અમેરિકન દળોએ આગામી હુમલાથી બચવા માટે ગોરુક અને કેશમ દ્વીપ પર બનેલા ઈરાનનાં રડાર ઠેકાણાં પર હુમલો કર્યો છે."

ઈરાન આ ઘટના પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ અગાઉ કુવૈતના ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર હુમલો થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 60થી વધુ લોકો ઘાયલ થયા હતા.

જોકે ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કૉર્પ્સ (આઇઆરજીસી)એ આ હુમલાની જવાબદારીથી ઇનકાર કર્યો અને કહ્યું કે નુકસાન અમેરિકન મિસાઇલ ઇન્ટરસેપ્ટરની ભૂલને કારણે થયું.

ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે યુદ્ધ ખતમ કરવા માટે હજુ સુધી કોઈ સમજૂતી નથી થઈ.

ક્રૉકોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ દિલ્હી પહોંચીને સમર્થકોને શું કહ્યું?

ક્રૉકોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ જણાવ્યું કે તેઓ દિલ્હી ઊતરી ગયા છે.

ઇમેજ સ્રોત, X/Cockroachisback

ઇમેજ કૅપ્શન, ક્રૉકોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ જણાવ્યું કે તેઓ દિલ્હી ઊતરી ગયા છે.

ક્રૉકોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ જણાવ્યું કે તેઓ દિલ્હી ઊતરી ગયા છે. તેમણે સીજેપીના સમર્થકોને કહ્યું કે 'આંદોલનને પ્રેમ અને શાંતિથી આગળ વધારવાનું છે.'

અભિજિત દીપકેએ ઍક્સ પર લખ્યું, "લૅન્ડ કરી ચૂક્યો છું. જલદી તમને બધાને જંતરમંતર મળવાનો ઇંતેજાર છે. પુસ્તક અને આપણો તિરંગો સાથે લાવવાનું ન ભૂલતા."

તેમણે વધુમાં લખ્યું, "પોલીસકર્મીઓને ફૂલ આપો, આ કરુણા અને આભારનું પ્રતીક હશે. આપણે આ આંદોલનને પ્રેમ અને શાંતિથી આગળ વધારવાનું છે."

ઉલ્લેખનીય છે કે અભિજિત દીપકેના આગમન પહેલાં દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર સુરક્ષા વધારી દેવાઈ છે.

સીજેપીએ જાહેરાત કરી હતી કે 6 જૂને દિલ્હીના જંતરમંતર પર પ્રદર્શન કરવાની યોજના છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન