ગરબામાં મુસ્લિમોની એન્ટ્રી પર પ્રતિબંધની માંગ અંગે ફરી શું બોલ્યાં દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Ashish Vaishnav/SOPA Images/LightRocket via Getty Images
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે ગરબા અને નવરાત્રીના આયોજનમાં ધર્મના આધારે પ્રવેશ અંગે ફરી વખત નિવેદન આપ્યું છે.
તેમણે બુધવારે કહ્યું કે ગરબા જેવાં આયોજનોમાં સુરક્ષાના હેતુથી આઈકાર્ડ તપાસવું યોગ્ય છે, પરંતુ ધર્મના આધારે લોકોને તપાસવા યોગ્ય નથી.
અમૃતા ફડણવીસે કહ્યું, "ગરબા હોય, નવરાત્રી હોય, આ આપણા ખૂબ જ સુંદર તહેવારો છે, જે વિશ્વપ્રસિદ્ધ છે, લોકો તેને પસંદ કરે છે. આસ્થા અને શ્રદ્ધા સાથે કોઈપણ આવવા ઇચ્છે, પોતાની પરિવાર સાથે આવવા ઇચ્છે, તો મને લાગે છે કે તેમાં જાતિ-ધર્મનો ભેદ ન રહેવો જોઈએ."
તેમણે કહ્યું, "ગરબા એટલો હાઈ-ઇન્ટેન્સિટી ઇવેન્ટ હોય છે, તેથી આઈકાર્ડ જોવું ખૂબ સારી બાબત છે, પરંતુ ધર્મના આધારે જોવું યોગ્ય નથી."
હકીકતમાં, નવરાત્રી દરમિયાન મહારાષ્ટ્રમાં યોજાતા ગરબા અને દાંડીયા કાર્યક્રમોને લઈને વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)એ મુસ્લિમોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
વીએચપીએ કાર્યક્રમોમાં પ્રવેશ પહેલાં ઓળખપત્રની તપાસ કરવાની અને મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
સંગઠને ગરબા અને ડાંડીયા કાર્યક્રમોમાં પ્રવેશ માટે તિલક લગાવવું ફરજિયાત કરવાની પણ માંગ કરી છે.
ગાંધીનગરમાં નિર્માણાધીન ઇમારતમાં લોખંડનો સ્લૅબ પડ્યો, 15 મજૂરોને બચાવી લેવામાં આવ્યા

ઇમેજ સ્રોત, ANI
ગુજરાતના ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં બુધવાર રાત્રે નિર્માણાધીન ઇમારતમાં લોખંડનો મોટો સ્લૅબ પડતાં અનેક મજૂરો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અકસ્માત પછી રાહત અને બચાવ અભિયાન ચલાવીને અત્યાર સુધી 15 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
ગુજરાતના ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત-બચાવ અભિયાનની સમીક્ષા કરી હતી.
સંઘવીએ જણાવ્યું કે 15 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવાયેલા 12 મજૂરોને ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ત્રણને, જેમને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી, હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, અકસ્માત બુધવાર રાત્રે લગભગ 9 વાગ્યે થયો હતો. બે ઇમારતો વચ્ચે લોખંડનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન અચાનક લોખંડનો સ્લૅબ તૂટી પડ્યો, જેના કારણે ત્યાં કામ કરી રહેલા મજૂરો તેની ચપેટમાં આવી ગયા.
અકસ્માતની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો સ્થળ પર પહોંચી ગઈ. ત્યારબાદ કાટમાળમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે રાહત અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન સાથેનું યુદ્ધ ક્યારે સમાપ્ત થઈ શકે છે

ઇમેજ સ્રોત, Andrew Harnik/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સાથે ચાલી રહ્યું યુદ્ધ નવેમ્બરમાં થનારી મિડ-ટર્મ ચૂંટણીઓ બાદ સમાપ્ત થઈ શકે છે.
ટ્રમ્પે ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઈરાન હવે વધુ સમય સુધી યુદ્ધ ચાલુ રાખવાની સ્થિતિમાં નથી. તેમણે એ પણ જણાવ્યું કે ત્યાં સુધી ઑઇલની કિંમતોમાં ઘટાડાની આશા નથી.
ટ્રમ્પે કહ્યું, "મને લાગે છે કે ચૂંટણીઓ બાદ તરત યુદ્ધ સમાપ્ત થઈ જશે. કારણ કે, તેઓ (ઈરાન) હવે વધુ સમય સુધી ટકી શકશે નહીં."
ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન ટૅક્સાસમાં રિપબ્લિકન પાર્ટીના પ્રથમ મિડ-ટર્મ કન્વેન્શનનાં પહેલાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા ટ્રમ્પનો હેતુ નવેમ્બરમાં થનારી મિડ-ટર્મ ચૂંટણીઓ પહેલાં પાર્ટીના નેતાઓને એકજૂટ કરવો અને તેમનામાં ચૂંટણી માટે ઉત્સાહ ભરવાનો છે.
નોંધનીય છે કે ઈરાન વિરુદ્ધ યુદ્ધને લઈને ટ્રમ્પ પર તેમની પોતાની રિપબ્લિકન પાર્ટીની અંદરથી પણ દબાણ વધી રહ્યું છે.
આ ઉપરાંત, યુદ્ધની વચ્ચે અલગ અલગ સર્વેક્ષણોમાં તેમની લોકપ્રિયતામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















